Friday, November 4, 2011

દોષ ના આપો

નથી મંઝિલ મળી એનો ચરણને દોષ ના આપો
કશું દેખાય ના તો આવરણને દોષ ના આપો.

હકીકત છે તમે એકેય પણ બારી નથી ખોલી
બધે અંધાર છે ઘરમાં કિરણને દોષ ના આપો

નજર સામે પડેલું સત્ય સમજાતું નથી એને
લખ્યું વાંચી નથી શકતો અભણને દોષ ના આપો

નથી સંભવ હિસાબો રાખવા વીતેલ વરસોના
ઘણું ભુલાય છે એમાં સ્મરણને દોષ ના આપો

કશું ના બહારથી આવે, અનર્થો હોય છે ભીતર
મળે જો શાપ તો વાતાવરણને દોષ ના આપો

ન ચેતવણી કશી, ના કૈં સમય આપે, ઉપાડી લે
ફરજ આધીન વર્તન છે મરણને દોષ ના આપો..!!

                                        - ઉર્વીશ વસાવડા