રાજકોટ સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે.
આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી.
આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે.
અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે
તો અમુક લોકો ત્રણ વાગ્યે આ ચા પીવા ઘરમાંથી બહાર નીકળે છે.
ટૂંકમાં, ગામ રેઢું ન રહેવું જોઈએ બસ..!!
જુદાં જુદાં ગામડાંમાંથી માઇગ્રેટ થઈને જુદી જુદી જાતના-ભાતના ને નાતના લોકોએ રાજકોટને પચરંગી બનાવ્યું છે.
એટલે જ તો રાજકોટનું કોઈ એક કલ્ચર નથી બસ, એ જ તો રાજકોટનું 'કલ્ચર' છે.
રાજકોટ કાઠિયાવાડીઓનું 'અમેરિકા' છે. અહીં સંતોનું પણ બધાં માને છે.
રાજકોટમાં કરોડ કરોડની ગાડીવાળા પણ મોજમાં છે
તો છકડા રિક્ષાવાળો પણ ઉદાસ નથી.
અહીં દરેક માણસ પોતાને પરવડે એવી મોજની ખોજ કરી લ્યે છે.
રાજકોટને રાણીમા-રૃડીમા અને રણછોડદાસજીના આશીર્વાદ છે
એટલે જ તો આ શહેર રાતે નથી વધતું એટલું દિવસે વધે છે.
રાજકોટમાં અગિયારસો રૃપિયાની થાળી લગ્નપ્રસંગમાં જમાડવાવાળા કેટરિંગનું પણ ચાલે છે
તો ફૂટપાથ પર પાણીપૂરી વેચનારો પણ ફ્રી નથી.
અહીં ફૂટપાથ કોઈની પણ મંજૂરી વગર ચાની લારી માટે પાંચ પાંચ લાખમાં કોઈ પણ જાતના દસ્તાવેજ વગર મરદની મૂછ માથે વેચાઈ જાય છે.