Wednesday, October 5, 2011

હૈયું થરથરે છે..!!

નિત નિત નવા પ્રપંચો માણસ અહીં કરે છે,
ઈશ્વરને માનનારા ઈશ્વરને છેતરે છે.

વસ્તીનો આ વધારો ભરખી જશે જગતને,
પોતાનો નાશ લોકો પોતે જ નોતરે છે.

માનવસ્વભાવ એવા વિકૃત થઈ ગયા છે,
ફૂલોની છે જરૂરત કાંટાઓ પાથરે છે.

મસ્જિદ ને મંદિરોમાંયે સ્વાર્થ સાધવા છે,
દેખાવ દંભ કરવાને પ્રાર્થના કરે છે.

દોલતની ભૂખ માટે છે દોડધામ આજે,
જ્યાં જ્યાં નજર પડે ત્યાં સ્વાર્થ વિસ્તરે છે.

દિલના દયાળુઓ પણ નિષ્ઠુર થઈ ગયા છે,
આપીને રોજ જખ્મો, જખ્મોને ખોતરે છે..!!

                       – કુતુબ આઝાદ

No comments:

Post a Comment